વચનામૃત ગઢડા મધ્યનું - ૧૮
સંવત ૧૮૭૮ના માગશર વદિ ૬ છઠ્ઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢીને તે ઉપર બુટ્ટાદાર રજાઈ ઓઢી હતી અને મસ્તક ઉપર ધોળો ફેંટો વિરાજમાન હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ અને પોતાની આગળ પ્રાગજી દવે કથા કરતા હતા, પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) અમે તો સર્વ પ્રકારે વિચારીને જોયું જે, આ સંસારમાં જેટલા કુસંગ કહેવાય છે તે સર્વ કુસંગથી અધિક કુસંગ તે કિયો છે તો જેને પરમેશ્વરની ભક્તિ નહિ ને ભગવાન સર્વેના સ્વામી છે, ભક્તવત્સલ છે, પતિતપાવન છે, અધમઉદ્ધારણ છે, એવો પણ ભગવાનની કોરનો જેના હૃદયમાં વિશ્વાસ નહિ, તે એવા તો આ સંસારમાં બે મત છે : એક તો નાસ્તિકનો ને બીજો વેદાંતીનો - એ બે અતિ કુસંગ છે, અને પંચમહાપાપે યુક્ત હોય ને તેને જો ભગવાનનો વિશ્વાસ હોય તો તેનો કોઈ કાળે છૂટકો થાય તથા બાળહત્યા, ગૌહત્યા, સ્ત્રીહત્યા ઇત્યાદિક જે મોટાં પાપ તેના કરનારાનો પણ કોઈ કાળે છૂટકો થાય ખરો પણ એ બે મતની જેને પ્રતીતિ આવી તેનો કોઈ કાળે છૂટકો થાય નહિ, શા માટે જે એની સમજણ વેદ, શાસ્ત્ર ને પુરાણ તે થકી ઊંધી છે. તેમાં નાસ્તિક તો એમ સમજે છે જે, રામચંદ્રજી ને શ્રીકૃષ્ણ ભગવાન એ તો રાજા હતા ને શ્રીકૃષ્ણે દૈત્ય માર્યા તથા પરસ્ત્રીના સંગ કીધા માટે ત્રીજા નરકમાં પડ્યા છે, એવી રીતે અધમઉદ્ધારણ ને પતિતપાવન એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેને વિષે પરમેશ્વરની બુદ્ધિ જ નથી અને કર્મે કરીને પોતાનું કલ્યાણ માન્યું છે જે, જ્યારે કર્મ કરતાં કરતાં કેવળ જ્ઞાન પ્રગટે ત્યારે તે ભગવાન થાય, એવી રીતે અનંત ભગવાન માન્યા છે પણ અનાદિ પરમેશ્વર નાસ્તિકને મતે કોઈ નથી જેને ભજને કરીને જીવ ભવના બંધન થકી છૂટે, માટે એ મત છે તે અતિ ભૂંડો છે અને વેદાંતી છે તે તો એમ સમજે છે જે, બ્રહ્મ છે તે જ જીવરૂપ થયા છે, ને જેમ સૂર્યનું પ્રતિબિંબ છે તેમ બ્રહ્મ તે જીવરૂપ છે માટે જ્યારે એમ સમજ્યા જે, હું બ્રહ્મ છું ત્યારે એને કાંઈ સાધન કરવું રહ્યું નહીં. અને જ્યારે પોતે પરમેશ્વર થયા ત્યારે હવે ભજન પણ કોઈનું કરવું રહ્યું નહિ, એમ માનીને પછી પાપ કરતાં પણ બીએ નહિ અને મનમાં એમ સમજે જે, આપણ નિર્ગુણ માર્ગને પામ્યા છીએ માટે આપણે ફરીને જન્મ નહિ ધરવો પડે પણ મૂર્ખા વેદાંતી એટલો તપાસ કરતા નથી જે, માયા પર જે નિર્ગુણ બ્રહ્મ તેને પણ એની સમજણે કરીને જન્મમરણ ઠેરાણું, કેમ જે એ મૂર્ખા એમ કહે છે જે, બ્રહ્મ છે તે જ સ્થાવર જંગમરૂપ થયા છે ત્યારે જે જીવ હોય તેને માથે તો જન્મમરણ હોય તે જન્મમરણ બ્રહ્મને માથે આવ્યું ને એ મૂર્ખા તો એમ જાણે છે જે અમે જન્મમરણથી છૂટશું પણ એમ વિચારતા નથી જે આપણે મતે કરીને બ્રહ્મને માથે જન્મમરણ સાચું થયું ત્યારે આપણ પણ ઘણું સમજશું તો પોતાને બ્રહ્મરૂપ માનશું તોપણ જન્મમરણ નહિ ટળે, માટે એને જ મતે કરીને એણે જે મોક્ષ માન્યો છે તે ખોટો થઈ જાય છે તોપણ કાંઈ તપાસીને જોતા નથી અને જીભે તો એમ બકે છે જે આપણ તો બ્રહ્મ સ્વરૂપ છીએ તે કેનું ભજન કરીએ ? અને કેને નમસ્કાર કરીએ ? એમ માનીને અતિશે અહંકારી થઈ જાય છે અને સમજ્યામાં તો કાંઈ આવ્યું નથી ને મૂર્ખ છે માટે જ્ઞાનીનું માન લઈને બેઠા છે પણ એમ વિચારતા નથી જે, પોતાને મતે કરીને પોતાનો મોક્ષ ખોટો થઈ ગયો અને જે એનો સંગ કરે તેને પણ એવા ને એવા મૂર્ખ કરીને મૂકે છે; અને સાચા જ્ઞાની જે નારદ-સનકાદિક-શુકજી તે તો નિરંતર ભગવાનનું ધ્યાન, નામ, રટન ને કીર્તન તેને કરે છે અને શ્વેતદ્વીપને વિષે જે નિરન્ન મુક્ત છે તે તો બ્રહ્મસ્વરૂપ છે અને કાળના પણ કાળ છે તોય પણ પરમેશ્વરનું ધ્યાન, નામ, રટન, કીર્તન, પૂજન, અર્ચન, વંદન તેને કરતા રહે છે અને પોતે અક્ષરસ્વરૂપ છે તોપણ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન તેના દાસ થઈને વર્તે છે અને બદરિકાશ્રમને વિષે જે ઉદ્ધવ ને તનુઋષિ આદિક મુનિ રહ્યા છે તે પણ તપ કરે છે ને નિરંતર ભગવાનની ભક્તિ કર્યા કરે છે અને એ વેદાંતી તો કેવળ દેહાભિમાની જીવ છે તોપણ ભગવાનનું ધ્યાન, સ્મરણ કે વંદન કરતા નથી અને નારદ, સનકાદિક ને શુકજી તેમની જેવી સામર્થી છે ને જેવું જ્ઞાન છે તથા શ્વેતદ્વીપવાસી જે નિરન્ન મુક્ત તેને વિષે જેવી સામર્થી છે ને જેવું જ્ઞાન છે તથા બદરિકાશ્રમવાસી જે ઋષિ તેમાં જેવી સામર્થી છે ને જેવું જ્ઞાન છે તેના કોટિમા ભાગની પણ એ વેદાંતીને વિષે સામર્થી પણ નથી ને જ્ઞાન પણ નથી તોપણ પરમેશ્વરના સામાવડિયા થઈને બેઠા છે માટે એ પાકા મૂર્ખ છે અને જેટલા મૂર્ખ કહેવાય છે તેના રાજા છે અને એ તો કોટિ કોટિ કલ્પ સુધી નરકના કુંડમાં પડશે ને યમના માર ખાશે તોપણ એનો છૂટકો નહિ થાય અને એવા દુષ્ટનો જે સંગ તેનું જ નામ કુસંગ છે, ને જેમ સત્પુરુષનો જે સંગ તેથી કોઈ મોટું પુણ્ય નથી તેમ ચાંડાળ એવા જે શુષ્ક વેદાંતી તેના સંગથી કોઈ મોટું પાપ નથી, માટે જેને કલ્યાણને ઇચ્છવું તેને નાસ્તિક તથા વેદાંતીનો સંગ કરવો જ નહીં. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૧૮।। (૧૫૧)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે નાસ્તિક ને શુષ્કવેદાંતી એ બે મતને અતિશે દુષ્ટ ને મહાપાપી કહ્યા છે ને તેમનો કોઈ કાળે નરકમાંથી છૂટકો નહિ થાય ને એના સંગ કરનારાને પણ અતિ પાપી કહ્યા છે. (૧) બાબત છે.
૧ પ્ર. શ્વેતદ્વીપને વિષે નિરન્ન મુક્ત છે તેને બ્રહ્મ સ્વરૂપ તથા અક્ષર સ્વરૂપ કહ્યા અને અક્ષરાતીત પુરુષોત્તમના દાસ કહ્યા તે પુરુષોત્તમ કિયા જાણવા ? ને તે નિરન્ન મુક્ત કોને કહ્યા હશે ?
૧ ઉ. આ ઠેકાણે વાસુદેવબ્રહ્મને પુરુષોત્તમ કહ્યા છે તે મૂળપુરુષોના પુરુષોત્તમ છે ને એમના તેજને અક્ષર કહ્યું છે ને તે અક્ષરથી તેમને અતીત એટલે પર કહ્યા છે. અને તેમના સાધનિક મુક્તોને કાળના કાળ ને અક્ષરસ્વરૂપ કહ્યા છે.
૨ પ્ર. કોના કોના તેજને અક્ષર નામે કહેવાતું હશે ?
૨ ઉ. મૂળપુરુષ, બ્રહ્મ, મૂળઅક્ષર તથા શ્રીજીમહારાજ એ સર્વેના તેજને અક્ષર તથા અક્ષરધામ કહેવાય. ।।૧૮।।